જન્મ : ઈ.સ ૧૬૯૪ ,મૃત્યુ : ઈ.સ ૧૭૬૯

શામળ ભટ્ટ
મધ્યકાલીન સાહિત્યમાં કવિ શામળ ભટ્ટ સૌથી વધૂ લોકપ્રિય પદ્યવાર્તાકાર હતા.અમદાવાદ પાસેના વેંગણપુરના-હાલના ગોમતીપુરના તેઓ વતની હતા.પિતાનું નામ વિશ્વેશ્વર અને ગુરુનું નામ નાનાભટ્ટ હતું.કથાકાર તેમનો વ્યવસાય હતો,પછીથી તેઓ વાર્તા કહેવા લાગ્યા.તેમને સંસ્કૃત,વ્રજ અને ફારસી ભાષાઓનો અભ્યાસ હતો.સંસ્કત ,પ્રાકૃત અને અપભ્રશંકાળની કથાઓનો આધાર લઈ અને તેમણે પ્રેમ અને પરાક્રમની અદ્ભુતરસથી ભરેલી પદ્યવાર્તાઓ આપી છે.કથા રસજળવાય એ રીતે વર્ણનો ખીલવીને,ભાષાને પદ્યમાં સુંગમ રીતે પ્રયોજીને તેમણે વાર્તાવિકાસ સાધ્યો છે.એ રીતે શામળની વાર્તાઓનું વાતાવરણ કૌતુકસભર,ચમત્કારપૂર્ણ અને પ્રસન્નકર હોય છે.વાર્તાનું પરંપરાનું માળખુ સ્વીકારી તેમાંના પ્રસંગોને પોતાની રીતે ખીલવવાની ,પત્રસ્વભાવને સચોટ રીતે વ્યક્ત કરવાની તથા જરૂરી વિસ્તાર કરીને કથારસ જમાવવાની આવડતને કારણે શામળની પદ્યવાર્તાઓ આકર્ષક બની છે.
શામળ તેમની વાર્તાઓમાં સમસ્યા-ઉખાણાં તથા નીતિબોધના છપ્પા વગેરે ગૂંથીને તેમનું મૂલ્ય વધારે છે.આમ શામળની વાર્તાઓ મનોરંજકતા,કૌતુકમયતા અને બોધકતાથી ધ્યાનપાત્ર ઠરી છે.
લોકકથાશ્રયી પદ્યવાર્તાઓ દ્વારા શામળનો ઉદ્દેશ સમાજને ધર્મ નીતિ તરફ વાળવાનો રહ્યો જણાય છે.
‘પદ્માવતી’ , ‘ચંદ્ર-ચંદ્રાવતી’ , ‘મદનમોહના’ , ‘સિંહાસનબત્રીશી’ , ‘વેતાલપચ્ચીશી’ , ‘નંદબત્રીશી’ , ‘સૂડા-બહોતેરી’ જેવી તેમની સંખ્યાબંધ પદ્યવાર્તાઓએ વર્ષોથી બહુજનસમાજનું મનોરંજન કર્યુ છે.શામળે પદ્યવાર્તાઓ ઉપરાંત ‘શિવપુરાણ’ , ‘અંગદવિષ્ટી’ જેવી રચનાઓ પણ આપી છે.